આજ મારાં નયણાં સફળ થયાં

નરસિંહ મહેતા

આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી,

સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી.

જે રે મારા મનમાં હતું તે વહાલાએ કીધું;

પ્રીતે પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું.

વહાલો મારો વિહારીલો, તેહને જાવા ન દીજે;

હાથ થકી નવ મૂકીએ, અંતરગત લીજે.

કાલિંદ્રીને કાંઠડે, હરિ નાચે ને ગાયે,

સ્વર પૂરે સર્વ સુંદરી, અતિ આનંદ થાયે.

ધન્ય જમુનાનો તટ, ધન્ય વ્રજનો રે વાસ;

ધન્યભાગ્ય આ ભૂમિનાં, વહાલો જ્યાં રમ્યા રાસ.

અંતરિક્ષથી દેવતા સહુ શોભા જોવાને આવે;

પુષ્પવૃષ્ટિ તાંહાં થઈ રહી, નરસૈંયો વધાવે.

••• ✦ •••

આ ભજન શેર કરો

ભજનાવલી.xyz • https://bhajanavali.xyz