આજ રે શામળિયે વહાલે

નરસિંહ મહેતા

આજ રે શામળિયે વહાલે અમ-શું અંતર કીધો રે;

રાધિકાનો હાર હરિએ રુક્મિણીને દીધો રે.

આજ રે શામળિયે વહાલે....

શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેર ઘેર હીંડું જોતી રે;

રાણી રુક્મિણીની કોટે મેં તો ઓળખ્યાં મારાં મોતી રે.

આજ રે શામળિયે વહાલે...

જાગતી તો લેવા ના દેતી, કર્મ-સંજોગે સૂતી રે;

વેરણ નિદ્રા મુને આવી, ‘હરિ હરિ’ કરીને ઊઠી રે.

આજ રે શામળિયે વહાલે...

ધમાણ મંગાવું ને ગોળો ધિકાવું, સાચા સમ ખવરાવું રે;

આજ તો મારા હર કાજે નારદને તેડાવું રે.

આજ રે શામળિયે વહાલે...

રાધાજી અતિ રોષે ભરાણાં, નેણે નીર ન માય રે;

આપો રે, હરિ ! હાર અમારો, નહિતર જીવડો જાય રે.

આજ રે શામળિયે વહાલે...

થાળ ભરી શગ મોતી મંગાવ્યાં, અણવીંધ્યાં પરોવ્યાં રે;

ભલે રે મળ્યો નરસૈંયાનો સ્વામી, રૂઠ્યાં રાધાજી મનાવ્યાં રે.

••• ✦ •••

આ ભજન શેર કરો

ભજનાવલી.xyz • https://bhajanavali.xyz