ધ્યાન ધર હરિતણું

નરસિંહ મહેતા

ધ્યાન ધર હરિતણું, અલ્પમતિ આળસુ,

જે થકી જન્મનાં દુઃખ જાયે;

અવળ ધંધો કરે, અરથ કાંઈ નવ સરે

માયા દેખાડીને મૃત્યુ વહાયે.

સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં,

શરણ આવે સુખ પાર ન્હોયે;

અવળ વેપાર તું, મેલ મિથ્યા કરી,

કૃષ્ણનું નામ તું રાખ મોંએ.

પટક માયા પરી, અટક ચરણે હરિ,

વટક મા વાત સુણતાં જ સાચી;

આશનું ભવન આકાશ સુધી રચ્યું,

મૂઢ એ મૂળથી ભીંત કાચી.

અંગ-જોબન ગયું, પલિત પિંજર થયું,

તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું;

ચેત રે ચેત, દિન ચાર છે લાભના,

લીંબુ લહેકાવતાં રાજ લેવું.

સરસ ગુણ હરિતણા, જે જનો અનુસર્યા,

તે તણા સુજશ તો જગત બોલે;

નરસૈંયા રંકને, પ્રીત પ્રભુ-શું ઘણી,

અવર વેપાર નહીં ભજન તોલે.

••• ✦ •••

આ ભજન શેર કરો

ભજનાવલી.xyz • https://bhajanavali.xyz