જ્યાં લગી આત્મા તત્વ

નરસિંહ મહેતા

જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ,

ત્યાં લગી સાધના સર્વ જૂઠી,

મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો

માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.

શુ થયું સ્નાન, સંધ્યા ને પૂજા થકી

શું થયું ઘેર રહી દાન દીધે ?

શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે,

શું થયું વાળ લુંચન કીધે ?

શું થયું તપ ને તીરથ કીધા થકી,

શું થયું માળ ગ્રહી નામ લીધે ?

શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,

શું થયું ગંગાજલ પાન કીધે ?

શું થયું વેદ વ્યાકરણ વાણી વદ્યે,

શું થયું રાગ ને રંગ માણ્યે ?

શું થયું ખટ દર્શન ભેદ સેવ્યા થકી,

શું થયું વરણના ભેદ આણ્યે ?

એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા,

જ્યાં લગી પરમ પરબ્રહ્મ ન જોયો;

ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના,

રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.

••• ✦ •••

આ ભજન શેર કરો

ભજનાવલી.xyz • https://bhajanavali.xyz