નાથને નીરખી

નરસિંહ મહેતા

આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી,

સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી.

જે રે મારા મનમાં હુતું તે વહાલાએ કીધું;

પ્રીતે-શું પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું.

વહાલો મારો વિહારીલો, તેહને જાવા ન દીજે;

હાથ થકી નવ મૂકીએ, અંતરગત લીજે.

કાલિંદીને કાંઠડે, હરિ નાચે ને ગાયે,

સ્વર પૂરે સરવ સુંદરી, અતિ આનંદ થાયે.

ધન્ય જમુનાના તટને, ધન્ય વ્રજનો રે વાસ;

ધન્યભાગ્ય આ ભૂમિનાં, વહાલો રમ્યા છે રાસ.

અમરલોક અંતરિક્ષથી શોભા જોવાને આવે;

પુષ્પવૃષ્ટિ તાંહાં થઈ રહી, નરસૈંયો વધાવે.

••• ✦ •••

આ ભજન શેર કરો

ભજનાવલી.xyz • https://bhajanavali.xyz