સુખ દુ:ખ મનમા ન આણિયે

નરસિંહ મહેતા

સુખદુઃખ મનમાં ન આણિએ, ઘટ સાથે રે ઘડિયાં;

ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં. સુખ દુઃખ-ટેક.

નલરાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી;

અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી. સુખ દુઃખ

પાંચ પાંડવ સરખાં બંધવા, જેને દ્રૌપદી રાણી;

બાર વરસ વન ભોગવ્યાં, નયણે નિંદ્રા ન આણી. સુખ દુઃખ

સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી;

રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી. સુખ દુઃખ

રાવણ સરિખો રાજીયો, જેની મંદોદરી રાણી;

દશ મસ્તક છેદાઈ ગયાં, બધી લંકા લુંટાણી. સુખ દુઃખ

હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, તારાલોચનિ રાણી;

તેને વિપત્તિ બહુ પડી, ભર્યાં નિચ ઘેર પાણી. સુખ દુઃખ

શિવજી સરખા સતા નહીં, જેની પાર્વતી રાણી;

ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી. સુખ દુઃખ

સર્વ દેવને જ્યારે ભિડ પડી, સમર્‌યા અંતરજામી;

ભાવટ ભાંગી ભૂધરે, મેહેતા નરસૈંને સ્વામી. સુખ દુઃખ

••• ✦ •••

આ ભજન શેર કરો

ભજનાવલી.xyz • https://bhajanavali.xyz